16/02/2025
કબજિયાત કોને કહેવાય ? અને તેની સારવાર
મારી દરરોજ ની પ્રેક્ટિસ માં કબજીયાત ના કેસો આવે છે દર્દીને આ પ્રશ્નો અંગે વારંવાર પૂછીએ છીએ, ઘણીવાર નવી યુવા પેઢીને તો કબજિયાત શું છે તેને જાણ પણ નથી અમારે તેની વિગતવાર સમજાવવું પડે છે ,કબજીયાત શબ્દ વિશે ખુલાસો કરવો પડે છે,જે ક્રિયા આપણે દરરોજ સવારમાં કરવાની હોય એ બાબતે દર્દી અજાણ હોય છે .
આજે આપણે કબજિયાત વિશે ચર્ચા કરીશુ
◆કબજિયાતના કારણો કયા કયા છે ?
◆કબજિયાતને કઈ રીતે અટકાવી શકાય ?
◆કબજિયાત હોય તો શું ખાવું જોઈએ
એ આપણે વિગતવાર ચર્ચા કરીશું
ટૂંકમાં કહીએ તો દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખોરાકનાં યોગ્ય પાચન અને શોષણ બાદ શરીર માટે અનાવશ્યક એવા મળનો સંપૂર્ણપણે નિકાલ કોઇપણ શારીરિક -જોર લગાવ્યા વગર થાય તેને સ્વાભાવિક મળપ્રવૃત્તિ કહેવાય. દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ પ્રવૃત્તિની શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે પણ કબજીયાત કહેવાય.
★મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે,
★મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે.
આથી જ કબજીયાતનાં નિદાન માટે માત્ર દરરોજ મળપ્રવૃત્તિ થાય છે કે કેમ ? તેટલું માત્ર જોવાતું નથી. શરીરમાંથી બહાર ધકેલવા લાયક મળ યોગ્ય સમયે, સંપૂર્ણપણે અને કુદરતી આવેગ સાથે સરળતાથી પ્રવૃત્ત થાય છે કે કેમ તે દરેક બાબત મહત્વપૂર્ણ છે.
ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.
આપણે જાણીએ છીએ કે કુદરતી આવેગોને રોકી ના શકાય જેવાકે
ભૂખ,
તરસ,
છીંક,
બગાસુ,
મળ-મૂત્ર પ્રવૃત્તિ વગેરે
વેગને રોકવાથી શરીરનાં વિવિધ અવયવોનાં તાલમેલ ખોરવાય છે અને જૈવરાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેની આડઅસર રોગોનું કારણ બને છે. આથી જ સમયાભાવ, અન્ય શારીરિક-માનસિક કાર્યપ્રવૃત્તિમાં વ્યસ્તતાને પરિણામે મળપ્રવૃત્તિનાં વેગને પણ રોકવામાં આવે તો, તેની આડઅસર પાચનતંત્રની વિવિધ ક્રિયા પર થાય છે.
કબજીયાત થવાનાં કારણો
કબજીયાત થવાનાં કારણોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય.
૧) ખોરાકમાં રેસા અને આવશ્યક જથ્થાનું પ્રમાણ ઓછું હોય,
(૨) પ્રવાહી ખોરાક-પીણાં તથા પાણીનું પ્રમાણ ઓછું હોય, (૩) એન્ટીડિપ્રેશન દવાઓ-પીડાનાશક દવાઓ
ઘણા રોગોથી થતા કબજિયાત ના કારણો:
(૧) પાર્કિન્સન ડિસિઝ,
(૨) મલ્ટીપલ સ્કલેરોસિસમાં આવેગની મંદતા અનુભવાય છે.
(૩) મળાશય નું કેન્સર
(૪) સ્નાયુઓ ની શિથિલતા
(૫) સ્ટ્રેસ
(૬) કાર્યોમાં વ્યસ્તતા, સ્ટ્રેસ, બેધ્યાનપણાથી મળપ્રવૃત્તિનો કુદરતી આવેગ અનુભવાતો નથી.
સારવાર બાબતે ધ્યાન ક્યારે આપવું જોઈએ ?
(૧) મળ મા લોહી આવે
(૨) તાવ
(૩) શરીર માં નબળાઈ
(૪) વજન માં ઘટાડો
નોંધ : કબજીયાત ને કદી અવગણવો નહીં
કબજીયાત દૂર કરે તેવા ઉપાયો:
◆ ખોરાકમાં લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું,
◆મેથી-પાલક-તાંદડજો-સરગવાના પાન
◆ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ,
◆કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો.
◆બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો.
◆પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.
◆ ગરમ હુંફાળું પાણી પીવું.
◆ ઈસબગોલ – બે નાની ચમચી ઈસબગોલ ૬ કલાક પાણીમાં પલાળી , સાકર મેળવી પાણી સાથે લેતા દસ્ત સાફ આવે છે.
નીચે દર્શાવ્યા મુજબ પ્રયોગો કરવાથી, તમે ફરીથી કબજિયાત થવા થી રોકી શકો છો:
ફાઇબર (Fiber) થી ભરેલો આહાર ખાવું.દિવસ દરમિયાન વધારે માત્રા માં પાણી પીવાનું અને અન્ય પ્રવાહીપીવાનું રાખો.દરરોજ નિયમિત સમયે બાથરૂમ જવું એટલે કે જાજરૂ જવું.
દૂર રહેવું : મેંદો, બિસ્કીટ, પિઝા, બેકરી આઈટમ્સ
કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.
કસરત અપનાવો :
બેઠાડું જીવન ઘણી આડઅસર કરે છે. અનુકૂળતા મૂજબ ચાલવું, દોડવું, જોગિંગ કરવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ, જીમીંગ પૈકી કસરત રોજબરોજનાં જીવનમાં અપનાવવાથી સ્નાયુઓની તંદુરસ્તી, ક્રિયાશિલતા વધવાથી કબજીયાત વગર દવાએ દૂર થઇ જતી હોય છે..
પાચન-મળપ્રવૃત્તિમાં નિયમિતતા જળવાય તે જરૂરી છે. પરંતુ જ્યારે પણ મળપ્રવૃત્તિનો વેગ અનુભવાય ત્યારે ટાળવો નહિ.
યોગ્ય રીતે કેસ ની માહિતી એકઠી કરી ને હોમિયોપેથીક ડોકટર કબજિયાત નો ઈલાજ કરી શકે છે.
#તડફંચી from ડો.સુરેશ સાવજ
#ફેટ2ફિટ